Email us
Please click EMAIL to write to Ram Gadhavi, the President of the Academy.
On the page The Exec Committee, you will find email links for all the Executive Committee members.
Please click EMAIL to write to Ram Gadhavi, the President of the Academy.
On the page The Exec Committee, you will find email links for all the Executive Committee members.
Harioum Rajyaguru said
મિત્રો,
આજે જેમને આપણા ગુજરાતના લોકસંગીત, ભક્તિસંગીત, સંતસાહિત્ય, લોકસાહિત્ય, ચારણી, બારોટીસાહિત્ય, વિવિધ સંતપરંપરાઓ અને સંતસ્થાનકો વિશે પ્રમાણભૂત માહિતી મેળવવાની જિજ્ઞાસા હોય તેમના માટે અત્યંત ઉપકારક એવી વેબસાઈટની વાત કરવી છે. હા, વાત છે http://www.ramsagar.orgની.
આપણે સૌ ગુજરાતના એક અલગારી સંશોધકને ઓળખીએ છીએ. છેલ્લાં પંદરેક વર્ષથી જન્માષ્ટમીના દિવસે વહેલી સવારથી રાત્રીના એક વાગ્યા સુધી દ્વારકાના જગતમંદિર ખાતેથી દૂરદર્શનની ગિરનાર ચેનલ પર થતા જીવંત પ્રસારણમાં જેઓ લાઈવ કોમેન્ટ્રી આપે છે અને અનેક ડાયરાઓમાં સંચાલક તરીકે કે વકતા ભજનિક તરીકે જોયા સાંભળ્યા છે એવા કવિ સાહિત્યકાર સંશોધક ડૉ.નિરંજન રાજ્યગુરુએ ત્રીશેક વર્ષ કચ્છ સૌરાષ્ટ્રના ગામડાંઓમાં ફરીને લોકભજનિકો અને લોકગાયકો પાસેથી કંઠસ્થ પરંપરામાં સચવાયેલાં હજારો પ્રાચીન ભજનો, ધોળ, કીર્તન, રાસ, રાસડા, ગરબા, ગરબી, દુહા, છંદ, લોકવાર્તાઓ જેવી અમૂલ્ય અને આજે ધીરે ધીરે લુપ્ત થઈ રહેલી ઓડિયો સામગ્રીનું ધ્વનિમુદ્રણ કર્યું છે, એમાંથી પોતાની વેબસાઈટ ઉપર કોઈપણ જિજ્ઞાસુ એને વિના મૂલ્યે જોઈ સાંભળી વાંચી શકે એ રીતે રજૂ કરી છે. જેમાં દરરોજ નવી સામગ્રી મૂકાતી રહે છે, અને સંશોધન માટે ભવિષ્યનાં સ્વપ્નાંઓ પણ દર્શાવ્યા છે.
નિરંજનભાઈ દ્વારા લખાયેલાં સંતસાહિત્ય, ચારણીસાહિત્ય, બારોટી વંશાવળી સાહિત્ય, લોકસંગીત, ભક્તિસંગીત, લોકવાર્તાઓ, હસ્તપ્રતો, ગુજરાતના તંબૂરસેવી ભજનિકો, ગુજરાતી ભજનપ્રકારો, સંતો ભક્તકવિઓ, નારી સંતો વગેરે વિષયના લેખો અંગે તથા ગુજરાતી ભાષામાં નિરંજનભાઈનો સંપૂર્ણ પરિચય, આનંદ-આશ્રમની સાહિત્ય સંશોધનની તથા લોકસેવા ગૌસેવાની પ્રવૃત્તિઓની વિડિયો ફિલ્મની સાથોસાથ તેમનાં હાલ અપ્રાપ્ય એવાં ‘બીજમારગી ગુપ્ત પાટ ઉપાસના’, ‘મરમી શબદનો મેળો’ અને ‘સૌરાષ્ટ્રનું સંતસાહિત્ય’ જેવાં પુસ્તકો પણ આ જ વેબસાઈટ પરથી આખાં વાંચી શકાય છે. વિશ્વના કોઈપણ ખૂણે વસતા જિજ્ઞાસુઓ માટે, જેમને ગુજરાતના પ્રાચીન પરંપરિત ભક્તિસંગીતના સંધ્યાથી માંડીને પ્રભાતિયાં સુધીના ભજનપ્રકારો એના મૂળ તળપદા ઢાળ ઢંગમાં સાંભળવા હોય, સાથોસાથ સંતવાણીના સર્જકો સંત ભકતોના જીવન વિશેની પૂર્ણ પ્રમાણભૂત માહિતી મેળવવી હોય, અને અનેક લોકપ્રિય ભજનોના શુદ્ધ પાઠ લિખિત રૂપમાં જોઈતા હોય એમના માટે તો આ વેબસાઈટ અણમોલ ખજાનારૂપ થઈ પડે એવી છે. એમાં ઓડિયો ધ્વનિમુદ્રિત સંતવાણી ભજનો, ગંગાસતીનાં તમામ ભજનોના પાઠ સાથે પરંપરિત ભજનિકોના કંઠે ગવાયેલાં બધાં ભજનો, ચાલીશેક પરંપરિત પ્રાચીન ભજનિકોના કંઠે ગવાયેલાં ભજનોની વિડિયો ક્લિપ્સ, મરમી કવિશ્રી મકરન્દ દવેનાં કાવ્યોનું ગાન, સંતોનાં પ્રવચનો, સંશોધન લેખો, ૧૦૦થી વધુ ફોટોગ્રાફસ અને આખાં પુસ્તકો એમ સપ્તવિધ સામગ્રીરૂપે આપણો ધીરે ધીરે વિસરાતો જતો અમૂલ્ય વારસો સાંચવવામાં આવ્યો છે. એક યુનિવર્સિટી કે અકાદમી જેવી સરકારી સંસ્થા જ કરી શકે એવું કાર્ય એકલે પંડે કરીને નિરંજનભાઈ અભિનંદનના અધિકારી બન્યા છે.
મકરન્દભાઈના મનમાં એક સ્વપ્ન હતું. ભજન વિદ્યાપીઠ ઊભી કરવાનું. ડૉ.હરિવલ્લભ ભાયાણી સાહેબ સાથેના એમના પત્રવ્યવહાર ‘સેતુબંધ’માં એમણે અને ભાયાણીસાહેબે આ અંગે ખૂબ જ વિચારણા અને ચિંતાઓ પ્રગટ કરેલી, એ પછી નિરંજનભાઈ સાથેના પત્રવ્યવહાર ‘મરમ જાણે મકરન્દા’માં પણ મકરન્દભાઈએ ભજન સંતવાણીના સંશોધન અંગે પોતાના મનોરથો પ્રગટ કરેલા. કચ્છ સૌરાષ્ટ્રના ગામડાંઓમાંથી કથા દંતકથા, ગીતો લોકગીતો, સંત, સાહિત્ય લોકસાહિત્ય, બહારવટિયા ને પાળિયાની વાતો ભેગી કરનાર ઝવેરચંદ મેઘાણીના પગલાંની છાપનું પગેરું દબાવીને મકરન્દભાઈની પ્રેરણાથી આ શાણા સંશોધક, કર્મનિષ્ઠ કલાકાર, અજાચક અભ્યાસુએ લેખો, પુસ્તકો, કાર્યક્રમો ઉપરાંત ગામડે ગામડે કંઠોપકંઠ સરકતી સાહિત્ય સરિતાને કેસેટમાં કંડારી લીધી ને પાંચ પચ્ચીસ નહીં, પૂરા સાડા છસો કલાકનું રેકોર્ડીંગ કરીને લુપ્ત થતા વારસાને જાળવી રાખવાના નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કર્યા.
આ વિશિષ્ટ સંશોધન યાત્રામાં એમને ગુજરાત સાહિત્ય અકાદમી સંશોધન ફેલોશિપ, બી.કે. પારેખ ફાઉન્ડેશન રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ અને ડૉ.હોમી ભાભા ફેલોશીપ મળેલી. આવી ફેલોશીપ મેળવનારા તેઓ ગુજરાતભરમાં પ્રથમ છે. ઉપરાંત રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક પરિસંવાદો, શિબિરોમાં વકતા અને ચર્ચક તરીકે આમંત્રણ પામી ચૂકયા છે. તેમના જણાવ્યા મુજબ ભજનગાનનું એક ચોક્કસ વિજ્ઞાન છે, એક તો જાણે એ નાદબ્રહ્મની ઉપાસના છે. એની સાથે ચોક્કસ સાધના સાથેનો શબ્દ જોડાયેલો છે. એનો અર્થ છે, પરંપરા છે. એની પરિભાષા છે. પણ તેની સાથે સાથે એ શબ્દ જ્યારે ગવાય છે, સ્વરમાં આવે છે ત્યારે સાહજિક રીતે જ એનો પ્રભાવ અનેકગણો થઈ જાય છે. એક ભજનિક જ્યારે ભજન ગાવા બેઠો હોય ત્યારે સ્વાભાવિક રીતે તેણે પલાંઠી વાળી બેસવું પડે. પદ્માસન આપોઆપ વળી જાય. એના ખોળામાં રામસાગર હોય. જે તેને તાલ સ્વર અને સૂર આપે તેવું લોકવાદ્ય છે. ભજનિકને ભજનના શબ્દો યાદ રાખવા પડે, તો જ એ ગાઈ શકે. તે સાથે સાથે શબ્દોના આરોહ અવરોહ, રાગના ભાવ મુજબ તેના શ્વાસોનું નિયમન આપોઆપ થાય. જે ભજન જે સ્વરોનું હોય એ સ્વર સુધી એણે પોતાના અવાજને પહોંચાડવાનો હોય. એટલે ત્યાં સુધી પહોંચવા તેણે પ્રાણ ઉપર નિયંત્રણ રાખવું જ પડે. પ્રાણ ઉપર નિયંત્રણ રાખે એટલે સહજ રીતે એના પ્રાણની ગતિ ભજનના લયની ગતિ સાથે એકરૂપ થાય. એની સાથે તેની સૂરતા તો શબ્દમાં જ હોય. શબ્દમાં એની સૂરતા રમમાણ હોય. લગન, ધ્યાન, તલ્લીનતા ભજનમાં જ હોય. તેનો અર્થ એ જાણતો હોય કે આ વિરહનું ભજન છે કે મસ્તીનું ભજન છે. ગુરુમહિમાનું પદ હોય કે ઉપદેશનું પદ છે તે તેને ખબર હોય. ભજન જ્યારે ગવાતું હોય ત્યારે ગાયક તો એ ભાવમાં હોય પણ આખો શ્રોતાસમુદાય પણ એ જ ભાવમાં હોય. તેવી સમજથી ભજનો ગવાતાં. આજે એ પરંપરા લુપ્ત થવાને આરે છે ત્યારે એને એના મૂળ સ્વરૂપે જાળવી લેવાનો પ્રયાસ કરનારા આ અલગારી શબ્દસાધકને આપણે ભાવથી વધાવીએ.
પ્રા.ડૉ. મનોજ જોશી, રાજકોટ