મિત્રો,
એક આઘાતજનક સમાચાર આપવાના છે. ૨૮ માર્ચ, ૨૦૧૦ની વહેલી સવારે શ્રી જોસેફ મૅકવાને આપણી વચ્ચેથી કાયમી વિદાય લીધી છે. ઉચ્ચ કોટિના આ રેખાચિત્ર-નવલકથા-નવલિકા સર્જકના અવસાનથી ગુજરાતી સાહિત્યજગતને એક મોટી ખોટ પડી છે.
ઍકેડેમીના સપ્ટેમ્બર ૨૦૦૮ના સાહિત્ય સંમેલનમાં જોસેફભાઈને આમંત્રિત મહેમાન તરીકે સત્કારવાની આશા હતી પણ એમને અમેરિકન વીઝા ન મળતાં ‘ફરી કોઈ વાર’ કરીને મન મનાવી લીધેલું. પણ એ આશા તો નઠારી જ નીવડી.
સ્વામી આનંદ ‘ટીંબાનો ઉપદેશ’માં ઈશુને ટાંકે છેઃ ‘… જિણ્યે દીનદખિયાંવને, પાપિયાંપતિયાંવને હાર્યેં બેસીને દલાસા દીધાં હશે, જિણ્યે નોંધારાંવને હાથ દેવા જીવતર સોંઘાં કર્યાં હશે — તીનેં જ પોરસ કરીને બથમાં લેવા મારો રામ સામો ધૉડશે.’ ઉપેક્ષિત-દલિત-પીડિતોની યાતનાને વાચા આપનાર જોસેફભાઈને એ રામધણી જરૂર એક ગાઉ સામો મળ્યો હશે.
જોસેફભાઈનાં પત્ની રેજીનાબહેન અને કુટુંબીજનોને આ આઘાત સહન કરવાની શક્તિ મળો એ જ પ્રાર્થના.
રામ ગઢવી