મિત્રો,
ઘણા ખેદથી જણાવીએ છીએ કે ગુજરાતને અને આખા જગતના સાહિત્યવિશ્વને એક મોટી ખોટ પડી છે. જેમના સાહિત્યપ્રદાનને વર્ણવતાં કોઈ જ વિશેષણો ઓછાં પડે એવા ગુજરાતી અને અંગ્રેજી ભાષા તથા સાહિત્યના અપ્રતિમ વિદ્વાન અને શિક્ષક, મુર્ધન્ય સાહિત્યકાર શ્રી નિરંજન ભગતને આપણે ગુમાવી બેઠા છીએ.

શ્રી નિરંજન ભગત
(1926-2018)
ભગત સાહેબના હુલામણા નામથી ઓળખાતા નિરંજનભાઈને સાહિત્ય પરિષદ ખાતેની એક લાંબી બેઠક દરમ્યાન જ સ્ટ્રોક આવવાથી ત્યાંથી સીધા જ હોસ્પિટલ લઈ જવાયેલા. ત્યાં ચારેક દિવસ રહ્યા પછી ઘરે જઈને એમણે આ નશ્વર જગતને પહેલી ફેબ્રુઆરી 2018ની સાંજે છોડ્યું.
ભગત સાહેબે આપણી ઍકેડેમી પર ઘણો જ પ્રેમ દર્શાવીને આપણાં ત્રણ સંમેલનોમાં હાજરી આપેલી. એમણે મુખ્ય મહેમાનપદેથી આપેલું વક્તવ્ય ‘નિર્વાસનનું સાહિત્ય’ અને બે સંમેલનોમાં ઉમાશંકર જોશી વિષેનાં એમનાં પ્રવચનો એમની વિદ્વત્તાના પ્રતિકો હતાં. ઍકેડેમીની અંગ્રેજી ભાષાંતર માટેની યોજના માટે ‘હિમાલયનો પ્રવાસ’ પુસ્તકની સર્વાનુમતે પસંદગી કરવામાં પણ એ ભાગીદાર હતા.
‘ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું’ કહેનાર ભગત સાહેબ પરમ પ્રેમ અને શાંતિને પામો.
રામ ગઢવી